Wednesday, September 23, 2009

મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં
કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ

બરકત વિરાણી ‘બેફામ’

સહારો નહિ, મને તો જોઇએ..........

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.

નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.

બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી.

શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો -
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી.

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.

ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.

બરકત વિરાણી ‘બેફામ’

Thursday, September 17, 2009

જુદી જિંદગી છે મિજાજે - મિજાજે;

જુદી જિંદગી છે મિજાજે - મિજાજે;
જુદી બંદગી છે નમાજે - નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે - જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે - રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે - અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે - જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે - મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે - તકાજે.

મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’
તારા વિના સૂરજ તો ઊગ્યો
પણ આકાશ આથમી ગયું.
તારા વિના ફૂલ તો ખીલ્યાં
પણ આંખો કરમાઈ ગઈ.
તારા વિના ગીત તો સાંભળ્યું
પણ કાન મૂંગા થયા.
તારા વિના…

તારા વિના…
તારા વિના…

જવા દે,
કશું જ કહેવું નથી.

અને કહેવું પણ કોને
તારા વિના ?

સુરેશ દલાલ

તો લખ મને........

થીજી ગયેલું સ્વપ્ન થોડું ઓગળે,તો લખ મને
એકાદ કારણ ઓળખીતું નીકળે,તો લખ મને !

આશ્ચર્ય વચ્ચે આજપણ અકબંધ છે,ઇચ્છા બધી
પડખું ફરી સંબંધ પાછો સળવળે,તો લખ મને !

પ્રશ્નોત્તરી યોજાય છે,અપવાદના કિસ્સા વિષે
સંદર્ભનાં થર વાસ્તવિકતા સાંકળે,તો લખ મને !

તસ્વીરના ઐશ્વર્યનો ઈતિહાસ તો નિઃશબ્દ છે
ભાષાવગરના અર્થને વાચા મળે,તો લખ મને !

છાંયા વિષે કઈ ખાતરી આપી શકો,તડકાવગર ?
તાત્પર્ય લઈ વાદળપણામાં જળ ભળે,તો લખ મને !


ડો.મહેશ રાવલ

Saturday, September 12, 2009

કહું છું ક્યાં કે .........

કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો,
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો.

જમાનો એને મુર્છા કે મરણ માને ભલે માને,
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો.

તમારા નામના સાગરમાં ડૂબી તળીયે જઈ બેઠો,
હું પરપોટો બની ઉપસું તમે કાંઠા સુધી આવો.

જરૂરી લાગશે તો તે પછી ચર્ચા ય માંડીશું,
હું કાશી ઘાટ પર આવું તને કાબા સુધી આવો.

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ,
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો.

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે ‘આદિલ’,
રદીફ ને કાફિયા ઓળંગીને મકતા સુધી આવો.

આદિલ મન્સૂરી

Wednesday, September 9, 2009

ગજબની ગઝલ હતી.

સહુને ગમી ગઈ હતી એવી અસલ હતી,
નાજુક હતી પરંતુ ગજબની ગઝલ હતી.

છે આબરૂનો પ્રશ્ન ખબરદાર પાંપણો,
જાણી ન જાય કોઈ કે આંખો સજલ હતી.

બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.

‘ઘાયલ’ને સાંભળ્યા પછી લાગ્યું બધાને,
જે આજ સાંભળી તે ખરેખર ગઝલ હતી.

Thursday, September 3, 2009

મારું એ બાળપણ છૂટ્યું!

હાથ આવ્યું હતુ હરણ છૂટ્યું,
હાય! મારું એ બાળપણ છૂટ્યું!

એમનું પણ હવે શરણ છૂટ્યું,
જિન્દગી છૂટી કે મરણ છૂટ્યું!

પગથી છૂટી જવાની પગદંડી,
એમનું જો કદી રટણ છૂટ્યું!

મદભરી આંખ એમની જોતાં,
છૂટી ન વાણી ન વ્યાકરણ છૂટ્યું!

કોઈની આશને ઘરણ લાગ્યું,
કોઈની આશનું ઘરણ છુટ્યું!

પણ હતું – એમનાથી નહીં બોલું,
મોતની બાદ પણ ન પણ છૂટ્યું.

સ્વપ્નમાં એમનાથી રસ-મસ્તી,
નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું!

એમનાં પગ પખાળવા કાજે,
આંખથી ફૂટીને ઝરણ છૂટ્યું.

તું અને પાર પામશે એનો?
બુધ્ધિ, તારું ન ગાંડપણ છૂટ્યું.

કોણ ‘શયદા’ મને દિલાસો દે!
ચાલ, તારું જીવન-મરણ છૂટ્યું.

‘શયદા’

LIST

.........