Thursday, March 13, 2008

કોણ માનશે?

મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે?
મારો ય એક જમાનો હતો. કોણ માનશે?

ડાહ્યો ગણી રહ્યું છે જગત જેને આજકાલ,
એ આપનો દિવાનો હતો કોણ માનશે?

તોબા કર્યા વિના કદી પીતો નથી શરાબ,
આ જીવ ભક્ત છાનો હતો, કોણ માનશે?

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?

હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો,
આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

'રૂસવા' કે જે શરાબી મનાતો રહ્યો સદા,
માણસ બહુ મઝાનો હતો, કોણ માનશે?

રૂસવા

1 comment:

  1. આજે જનાબ રૂસવાસાહેબ તો આપણીવચ્ચે નથી રહ્યા પણ,એમની ગઝલ જ્યારે પણ લોકો તમારા બ્લોગ પર વાંચશે ત્યારે એમનો આત્મા આપણને બધાને પ્રેરણા પ્રદાન કરતો રહેશે.

    ReplyDelete

LIST

.........