Saturday, December 27, 2008

શું નામ દઉં ?

સ્વપ્નના વિસ્તારને શું નામ દઉં ?
આંધળી વણઝારને શું નામ દઉં ?

ક્ષણ પછીની ક્ષણ મળે ખેરાતમાં
તો પછી,અધિકારને શું નામ દઉં ?

હોત પંખી તો,હતો ક્યાં પ્રશ્ન કંઈ
પણ,સ્વયંના ભારને શું નામ દઉં ?

ખૂબ જોયા છે ઉજવણાં,જીતના
આડકતરી હારને શું નામ દઉં ?

ભીંતને પણ કાન છે -નક્કી થયું
ખાનગી વ્યવહારને શું નામ દઉં ?

નામ શું દઉં કાલને,ઓળખવગર
એ કહો,અત્યારને શું નામ દઉં ?

ક્યાં વધે છે શેષ જેવું આખરે
શૂન્યવત્ સંસારને શું નામ દઉં ?

છે પ્રગટ,બસ ત્યાંસુધી પૂજાય શગ
ઉગતા અંધારને શું નામ દઉં ?

ડો.મહેશ રાવલ

ત્યારે આવજે

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે
કંઈ દ્વિધા સર્જાય ત્યારે આવજે.

ખોખલો આધાર લઈ ઊડે છે તું,
આભથી પટકાય ત્યારે આવજે.

લાગણી શબ્દોથી પર છે, જાણી લે,
મૌન જો સમજાય ત્યારે આવજે.

હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,
કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે.

તેં સમજના દ્વારને વાસી દીધા,
અણસમજ ઘૂંટાય ત્યારે આવજે.

મેં લખી છે આપવીતી, આમ તો,
વેદના વંચાય ત્યારે આવજે.

સુનીલ શાહ

Monday, November 10, 2008

તમામ ઉમ્ર મને જિંદગીએ લુંટ્યો છે,
મરણનાં હાથમાં પ્હૉંચી હવે સુરક્ષીત છું.

આદીલ મન્સુરી.

કેમ ભૂલી ગયા? દટાયો છું

કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું,
અડધોપડધો જ ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું.

વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું.

એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હું ય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ આ પંથ ભૂલ્યાને?
આપ મેળે જ ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.

અમૃત ‘ઘાયલ’

Wednesday, November 5, 2008

તો શું જોઇતું’તું?

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઇતું’તું?

જો પ્રવેશે કોઇ ઘરમાં તો પ્રવેશે ફક્ત સુખની લ્હેરખીઓ ;
એક બારી એટલી વાંખી શકાતી હોત તો શું જોઇતું’તું?

ડાળથી છૂટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીંછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?

આ ઉદાસી કોઇ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઇતું’તું?


અનિલ ચાવડા

Saturday, November 1, 2008

વળગણ નડ્યા કરે

યુગ તો વટાવી જાઉં, મને ક્ષણ નડ્યા કરે,
જન્મો જનમનું કોઈ વળગણ નડ્યા કરે.

હું મધ્યબિંદુની જેમ નથી સ્થિર થઈ શકી,
ત્રિજ્યા અને પરિઘની સમજણ નડ્યા કરે.

એને વળાવી દ્વાર અમે બંધ તો કર્યા,
એના જતા રહ્યાનું કારણ નડ્યા કરે.

બુદ્ધ થઈ જવા મેં કોશિશ ઘણી કરી,
આ રક્તમાં થીજેલું સગપણ નડ્યા કરે.

આપણે ત્વચાથી પર થૈ નથી શક્યા,
દૃષ્ટિ છે ધૂંધળી ને દર્પણ નડ્યા કરે.

-મધુમતી મહેતા

LIST

.........