Friday, June 21, 2013

પછી શું કરશે ?

ચાહ્યું સઘળું તે મળી જાય, પછી શું કરશે ?
તું જે શોધે છે, જડી જાય પછી શું કરશે ?

આંખ ચોળીને જગત જોવાની આદત છે,
કોઈ આંખોમાં વસી જાય, પછી શું કરશે ?

અબઘડી તો તું ગઝલ કહીને ગુજારે છે સમય,
દુઃખની આ રાત વીતી જાય પછી શુ કરશે ?

શબ્દ હાથોમાં ગ્રહ્યા, ત્યાં તો થયા હાથ મશાલ,
શબ્દ જ્યારે લોહીમાં ભળી જાય, પછી શું કરશે ?

કામનાનું પશુ હણવા તું ભલે નીકળ્યો છે,
થઈને એ ઘાયલ બચી જાય, પછી શું કરશે ?

આંસુઓ શબ્દમાં પલટાતા રહે પણ ક્યાં સુધી ?
લોકો મહેફિલમાંથી ઊઠી જાય, પછી શું કરશે ?

- રઈશ મનિયાર

દુનિયા હતી

દ્વારની નોખી જ ત્યાં ગણના હતી,
પગરવોની પણ અજબ દુનિયા હતી…!

ચીસ ને ચિત્કાર સહુ કોઠે પડ્યાં,
કાન માટે ક્યાં નવી ઘટના હતી ?

ચાલ…એવું મેં ચરણને ના કહ્યું,
ચાલવાની વાતે ક્યાં શંકા હતી ?

ભીતરી એ આક્રમણ સમજાયું ના,
જળ વચાળે તૂટતી નૌકા હતી.

એટલું ઝીલ્યું, ઝિલાયું જેટલું,
મારા ખોબાનીય એક સીમા હતી.

સ્હેજ મોડું થઈ ગયું ઘર પહોંચતા,
વાટ જોતી જાગતી રહી, ‘મા’ હતી..!

સુનીલ શાહ

Saturday, March 30, 2013

નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હું
મથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હું
કાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવું
હજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું

અમૃત ‘ઘાયલ’, 

Wednesday, March 20, 2013

મારા હોવાનું સખા, કારણ છે તું !

એકધારી હોય ના કોઈ ભાવના,
તું સદા ભરતીની આશા રાખ મા.

મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.

પાનખર તો છે વસંતી ખાતરી,
-ને ફરીથી મ્હોરવાની કામના.

હા, ઘણા સ્વપ્નો ફળ્યાં છે આંખને,
તું નથી એમાં તો એ શું કામનાં?!

એમ નહીં તાગી શકે એનું ઊંડાણ,
‘ઊર્મિ’ને બુદ્ધિ વડે તું માપ ના !  


 ’ઊર્મિ’

Monday, March 11, 2013

દર્દ જીરવી ગયો....

દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો

સાચુ બોલ્યો તો વગોવાઈ ગયો
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો

સાવ ખૂણામાં મને નાખી દઈ
પૂછે છે “કેમ તું નંખાઈ ગયો?”

રોજ બદલ્યો મને થોડોથોડો
ને હવે કહે છે “તું બદલાઈ ગયો”!

એનું પથ્થરપણું વધતું જ ગયું
પાંચ માણસમાં જે પૂજાઈ ગયો

જે સતત સ્વપ્નમાં રમમાણ રહ્યો
આખરે ઊંઘતો ઝડપાઈ ગયો!

- હેમંત પુણેકર

તો ?

શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?

કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પે….લો ઋણાનુબંધ તો ?

લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?

- ચિનુ મોદી “ઇર્શાદ”

LIST

.........